સંક્ષિપ્ત ઇતિહાસ

સ્થાપત્ય ઇતિહાસ : 

હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો.

શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી.

હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે

શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાસ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ અને હવેના જુનાગઢ અને જામનગર જિલ્લાઓને એક કર્યા હતા. પરંતુ પોતાના આજ વૈભવને કારણે તેઓ દારુ અને જુગારની બદીને લીધે છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચડ્યા. સમગ્ર યાદવકુળના અંત પછી ભગવાન શ્રી કૃષ્ણે પણ યોગ દ્વારા પ્રાણત્‍યાગ કર્યો અને દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. દ્વારકાના મૂળ રહેવાસીઓ કાબાના નામે ઓળખાતા. આ સિવાયની અન્‍ય જાતિઓ મોડ, કાલા વગેરે હતી કાબા અને મોડા જાતિનું અસ્તિત્‍વ રહ્યું નથી. કાબાઓએ બીજી સદીમાં દ્વારકા પર ફરી વિજય મેળવ્‍યો, ત્‍યારબાદ સિરિયન શુકર બેલિયમે આ પ્રદેશ જીત્‍યો અને આ સમયગાળામાં દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. શુકર બેલિયમને અન્‍ય સિરિયન મહેમ ગુડુકાએ આ પ્રદેશમાંથી હાંકી કાઢયા..

૧૩મી સદીમાં રાઠોડોએ હેરુલ-ચાવડાઓ વચ્‍ચેના ઝઘડાનો લાભ લીધો બાકી બચેલા ચાવડાઓ અને હેરુલ વાઘેરોની જ્ઞાતિમાં ભળી ગયા. હવે ઓખા મંડળના સર્વસત્તાધીશ તરીકે વેરાવલજી રાઠોડ હતો. ત્‍યારબાદ ભીમજીના શાસન દરમ્‍યાન ગુજરાતના સુલતાન તરીકે જાણીતા મહંમદ બેગડાએ ઓખામંડળ પર આક્રમણ કર્યું અને મંદિરને ધ્‍વસ્‍ત કર્યું. એ પછીના થોડા સમયમાં વાઘેરોએ ફરી મુસ્લિમોને હાંકી કાઢયાં.

ત્‍યારપછીનો ૧૮૦૦ સુધીનો ઓખામંડળનો ઈતિહાસ ખાસ કશીજ નોંધનીય ઘટના વગરનો રહ્યો છે.

વર્ષ

ઘટનાઓ

ઈ.સ. ૧૮૦૭

કર્નલ વોકરને ૧૧,૦૦૦ રૂ.નો વેરો વસૂલવા ઓખામંડળ તરફ પ્રસ્‍થાન કરવા આદેશ અપાયો.

ઈ.સ. ૧૮૧૬

કર્નલ ઈસ્‍ટે આ વેરો ઘટાડ્યો અને આ જિલ્‍લાને ગાયકવાડના વહીવટમાં સામેલ.

ઈ.સ. ૧૮૪૫-૪૭

ગાયકવાડની સંચાલન વ્‍યવસ્‍થા નબળી હોવાને કારણે બે વખત શાસનવ્‍યવસ્‍થા વેરવિખેર થઈ ગઈ. આ વખતે બ્રિટીશ સરકારે બધું વ્‍યવસ્થિત કરવા લેફ. બાર્ટનની નિમણુંક કરી.

ઈ.સ. ૧૮૬૮

વાઘેરો ઓખામંડળ ગાયકવાડની આગેવાની નીચેના અમરેલીના જિલ્‍લાનો ભાગ બનવા માટે સહમત થયા.

ઈ.સ. ૧૯૪૭

સ્‍વતંત્ર પ્રાપ્‍તિ પછી ઓખામંડળ બરોડા રાજ્યનો હિસ્સો બની ગયું.

ઈ.સ. ૧૯૪૯

બરોડા રાજ્ય જેનો ઓખામંડળ એક ભાગ હતો, એ બોમ્‍બે રાજ્યમાં વિલિન થઈ ગયું.

ઈ.સ. ૧૯૪૯

ત્‍યારબાદ ઓખા અમરેલી જિલ્‍લાનો એક ભાગ રહ્યું.

ઈ.સ. ૧૯૫૯

આ સમયગાળા દરમ્‍યાન ઓખામંડળનો જામનગર જિલ્‍લામાં સમાવેશ કરવામાં આવ્‍યો અને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્‍યો.

દ્વારકા નગરી- ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલ છે. સુવર્ણનગ‍રી દ્વારકા ના ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે. કારણ કે આ અંગે કરવામાં આવેલા સંશોધનો પરથી જાણવા મળે છે કે આ દિશામાં કરવામાં આવેલ સંશોધન પરથી પ્રાપ્‍ત થતી વિગતો ભારતના ઈતિહાસની અગત્‍યતા, અંધારામાં રહેલી બાબત પર પ્રકાશ પાડી શકશે.

દ્વારકાધીશનું ૪૩ મી. ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિદ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્‍થળે આવેલું છે. મંદિરનો અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્‍ય હિસ્‍સાઓ…. જેમકે મધ્‍યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્‍પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટપર અન્‍ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.

દ્વારકાધીશ મંદિર સંકુલમાં પ્રદ્યુમનજી, દેવકીજી, પુરુષોત્તમજી, કુશેશ્વર મહાદેવ અને આદ્ય જગદગુરૂ શંકરાચાર્યએ નવમી સદીમાં સ્‍થાપેલ શારદાપીઠ પણ જોવા મળે છે. હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. પરંતુ ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્‍યાં પથ્‍થરની દિવાલ બનાવી લીધી. આ દિવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું.

આ સ્‍થળે પશ્ચિમ દિશામાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. જે વરુણદેવના નામે પણ ઓળખાય છે. આ મંદિર પુરાતત્‍વની દષ્ટિએ, ઐતિહાસિક બાબતોના સંશોધનનો રસપ્રદ વિષય બની શકે એમ છે. જે પુરાણા બંદર પાસે આવેલ છે. ભૂસ્‍તરીય હિલચાલને પરિણામે જે સ્‍તરો બનેલા એના નમૂના પરથી એમની ઐતિહાસિક અને ભૂતકાળમાં બનેલી સામુહિક ઘટનાઓનો ખ્‍યાલ આવે છે. આ કથા સ્‍તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા આ પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્‍યાં જમા થયા હશે. નવમાં સ્‍તરમાં પીળી રેતી તથા દશમાં સ્‍તરમાં રાખોડી સ્‍લીટ મળી આવે છે. જ્યારે દશમાં સ્‍તરમાં ગુલાબી ગીમ ધરાવતી રેતી અને ૧૧માં સ્‍તરમાં કશાય વિશેષ પદાર્થો વગરનું છે.

દ્વારકા ના ખોદકામ દરમ્‍યાન મળી આવેલ પાણી ગરમ કરવાના દેગડા, અન્‍ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલ વાસણો ત્‍યાં જ છે. ૧૯૭૯ થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકા ની ઈ.સ.ની પંદરમી સદીથી વિક્રમ સંવતની ૧૫મી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩૫૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્‍તરોનાં કિનારે થયેલી ભૂસ્‍તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે. તેનો ખ્‍યાલ આવે છે. લગભગ આઠેક વખત થયેલા ફેરફારો અને તેના પુન: સ્‍થાપનને કંઈક આ રીતે વર્ણવી શકાય. (આઈ.એ.આર. ૧૯૭૯-૮૦-૨૨) પહેલી વખતના સ્‍થાપન બી.સી.ની ૧૫મી સદીમાં કરવામાં આવેલ જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્‍યારબાદ ઘણા લાંબા અંતરાલ પછી ત્રીજુ સ્‍થાપન કરવામાં લાલ રેખાઓ નજરે ચડે છે. જે દર્શાવે છે કે વર્કિંગ લેવલ કરતાં ઉંચું જોઈ શકાય એ માટે પ્‍લીંન્‍થ ખુલ્‍લી રાખવામાં આવેલી.

જ્યારે દરિયાના મોજા કે તોફાનને કારણે પહેલું મંદિર નષ્‍ટ થઈ ગયું. ત્‍યારે બીજું મંદિર એ જ જગ્‍યાએ બનાવવામાં આવ્‍યું. જ્યારે બીજુ મંદિર પણ નષ્‍ટ થયું ત્‍યારે વિષ્‍ણુનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્‍યું, તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્‍લીન્‍થ અને દિવાલો ખુલ્‍લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના જ સમયમાં બાંધવામાં આવ્‍યું.

હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલ મંદિર છે. આ ૧ થી ૫ વખત બંધાયેલ મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકા નું આઠમું રૂપાંતરણ છે.

ત્રીજા સંશોધન કાર્ય વખતે મધ્‍યમ કદની ટ્રાન્સિસ્‍ટ લાઈનના સ્‍ટ્રક્ચર્સ (થાપણા) મળેલ. જે ૨૦૦ થી ૫૦૦ મી. એસએન મંદિરથી દરિયાની દિશામાં દૂર હતી. વનસ્‍પતિ અને કાદવીયા સ્‍તરોને દૂર કરતાં આ બાબત ધ્‍યાનમાં આવી હતી. તેનો અભ્‍યાસ કરતી એક બાબત ખાસ ધ્‍યાનાકર્ષક બની હતી કે એકસરખા મોટા ચૂનાના પથ્‍થરના ચોસલા પ્‍લીંમ્‍પ કે (૧.૫×૧×૦.૫ અને ૧× ૦.૭૫×૦.૩ મી) જે માપણ બાંધકામમાં વાપરવામાં આવેલ હતાં.

અભ્‍યાસની અનુકૂળતા માટે આ પથ્‍થરોને ચાર વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ હતા. જેને એ અને ડી વર્ગીકૃત કરવામાં આવેલ હતાં. જે મુજબ એસ.એન. થી ૧૨ – ૧૩ અંતરે આવેલ બ વિભાગમાં તેમજ ૨૬,૨૭ થી નજીક આવેલ અને એસ.એન.થી સૌથી ૧૨ મળી આવેલ નમૂનાઓનો ડી માં સમાવેશ કરવામાં આવ્‍યો હતો. એ પ્રકારના બાંધકામમાં બે બાજુઓ હતી એ કહેવું મુશ્‍કેલ હતું કે તે એક મોટી ઈમારતનો કોઈ ભાગ હોય. પરંતુ ક્રિએન્ટિક પ્‍લાન અને થોડેક નજીકથી મળી આવેલા ચંદ્ર પથ્‍થર પરથી એ માન્‍યતાને પુષ્ટિ મળે છે કે આ બાંધકામ એ જગદમંદિર નો હિસ્‍સો છે. કારણ કે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ સોપાન ચંદ્ર પથ્‍થર મૂકવામાં આવે છે. આ બન્‍ને પથ્‍થરોમાનાં એક પથ્‍થરમાં ફાટ જોવા મળેલ છે. જે બાજુના પથ્‍થરને જોડવા માટે બનાવવામાં આવે છે.

ઈ.સ. ૧૯૮૬માં ચોથા સંશોધન કાર્ય દરમ્‍યાન જાણવા મળ્યું કે મેશનરીની દિવાલનાં ઉપરના ભાગના પથ્‍થરોને સમુદ્રના પ્રવાહ અને ભરતીને કારણે નુકશાન પહોંચેલું હતું. હકીકતમાં આ પથ્‍થરો કાદવ અને વનસ્‍પતિના જાડા થર નીચે આવેલ હતાં. આ વધારાના ભારને હટાવીને દિવાલને બીજી બાજુથી ખુલ્‍લી કરવામાં આવી અને આજુબાજુથી ખોદકામ કરીને ઓછામાં ઓછી બે દિવાલોનો અભ્‍યાસ કરી શકાય એ રીતે ખુલ્‍લું કરવામાં આવ્‍યું.

આ ચોથું સંશોધનકાર્ય થોડા સમય માટે વિકટ બની ગયું હતું. આ વખતે એ જાણવા મળ્યું કે ત્‍યાંથી મળી આવેલા ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્‍થર મળી આવ્‍યા હતાં. જે બી. સી. ની ચૌદમી અને બારમી સદીમાં સાયપ્રસ્‍ત અને સિરિયામાં મળી આવતાં હતાં. આ પથ્‍થરોમાંથી એકને કાળજીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્‍યો. થોડું નુકશાન થયું હોવા છતાં પણ એ ઘણી જ જહેમત પછી કાઢી શકાયો.

વર્ષના જુદા જુદા સમયગાળા દરમ્‍યાન ઓકટોબરથી મે સુધી કરવામાં આવેલ ખોદકામ દરમ્‍યાન એ તારણ કાઢવામાં આવ્‍યું કે દરિયાઈ સંશોધન કાર્ય માટેની સૌથી સારી ઋતુ નવેમ્‍બરના મધ્‍યથી ફેબ્રુઆરીના મધ્‍ય સુધી અનુકૂળ રહે છે. નવેમ્‍બર અને ડિસેમ્‍બર મહિનામાં પણ કયારેક કાશ્‍મીરમાં ભારે બરફ વર્ષાના કારણે ઉદભવતા અતિશય ઠંડા પવનોને કારણે સૌરાષ્‍ટ્ર – કચ્‍છ વિસ્‍તારમાં ભારે ઠંડી પડે છે. અને દરિયો અચાનક જ તોફાની બની જતો હોય છે.

અંતે, ૧૩મી ડિસેમ્‍બર ૧૯૮૬માં દરિયો ખૂબ જ તોફાની બન્‍યો. ૫ થી ૬ મી ઉંચે સુધી ઉછળતા તોફાની મોજાઓ ૨૦૦મી. સુધીના કિનારા પર પછડાઈ રહ્યા હતાં. દરિયામાંના ત્રીજા અને ચોથા સંશોધનકાર્ય વખતે સ્‍ટ્રકચરના સ્‍થળ પર લોખંડના સળિયા નિશાની રૂપે ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત વનસ્‍પતિ અને કાદવના થરોને દૂર કરવામાં આવ્‍યા હતાં. પાંચમું મિશન અતિ સફળ રહ્યું. આ વખતે અન્‍ય ત્રણ સ્‍ટ્રકચર મળી આવ્‍યા. જેના આવરણો દૂર કરતાં સ્‍ટ્રકચરની બાજુના કિલ્‍લાની દિવાલો મળી આવેલ એસ.એન. મંદિરમાં આઠસો મી. ઊંડે દરિયામાં હજારો સ્‍થાપ્‍ત્યના સભ્‍યો પડેલા રહ્યાં છે.

રેતી અને અન્‍ય વનસ્‍પતિથી ઢંકાયેલા અન્‍ય પાંચ સ્‍ટ્રકચરને એરલિફટ, એરજેટ વડે સાફ કરવામાં આવ્‍યા. કેટલાક સ્‍થળોએ મેશનરીની દિવાલોના અભ્‍યાસ કરવા માટે સ્‍ટ્રકચરની આજુબાજુથી એરજેટ વડે ખોદી કાઢવા પડેલ. ખોદકામ વખતે કાદવ, રેતી અને અન્‍ય પદાર્થોથી સીલ થયેલા સ્‍ટ્રકચરમાંથી કે દિવાલોમાંથી પત્‍થર છુટા પડી ઈજા પહોંચાડી શકે એવી ભયજનક શક્યતા હંમેશા રહે છે. ભારે પ્રવાહ, વમળ, ભરતીથી આ બાંધકામને વધુ નુકશાન પામતા અટકાવવા માટે નાના બાંધકામોને ખોલવામાં નહોતા આવ્યા.

આખા સંશોધનમાં મહત્‍વની વાત એ હતી. એસએન મંદિરથી ૬૦૦ મી. દરિયાની દિશામાં મળી આવેલા પિરામીડ આકારના બ્‍લોકસમાં સમગ્ર બાંધકામનો આંશિક હિસ્‍સો દર્શાવતા હતાં. દરિયાઈ વિસ્‍તારનાં આંતરિક સ્‍તરોમાંથી મળી આવતા બાંધકામના હિસ્‍સા જેવા કે ફોર્ટની દિવાલો બિલ્ડિંગના ખૂણાઓ અને અન્‍ય અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે એ અંગેની જાણકારી પ્રાપ્‍ત થઈ શકી છે. આ બાંધકામોના પાયા સુધી પહોંચવું શકય નથી. પરંતુ અન્‍ય પરથી જોતા એ બાબત સ્‍પષ્‍ટપણે દ્રષ્ટિગોચર થાય છે કે દરિયાની સપાટી પર બોલ્‍ડરને ગોઠવીને તેના પર દિવાલો અને કોસર્ડ રબર પેશનરીનનું બાંધકામ કરવામાં આવ્‍યું છે.

 દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ

  •  દ્વારકામાં કૃષ્‍ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્‍ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્‍ણનો આવાસ (રહેણાંક) હતો.
  • દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્‍ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્‍ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્‍ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્‍ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્‍ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્‍ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્‍યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્‍ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્‍યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.
  • દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્‍યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્‍ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્‍ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્‍ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્‍યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્‍યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્‍ણથી દૂર રહેવાનો શાપ આપ્‍યો.

કૃષ્‍ણ અવતાર – ‘પૂર્ણ‘ પુરુષોત્તમ

પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્‍વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્‍યક્તિત્‍વ સમાન મનુષ્‍ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.

યદુકુળ

યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્‍તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્‍ણના દાદા) તેમના રાષ્‍ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્‍દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્‍ય જૂથ વૃષિ‍ણી પર રાજ ચલાવતું. ત્‍યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી ‍ વૃષિ‍ણી જૂથના હતાં. શ્રી કૃષ્‍ણનો જન્‍મ દેવકી અને વાસુદેવને ત્‍યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્‍વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્‍યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.

આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્‍ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્‍ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્‍યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્‍યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્‍ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં. આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્‍છુક બનાવ્‍યો. કંસ સ્‍વભાવે સત્તા ભૂખ્‍યો હોવાથી સ્‍વકેન્‍દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્‍યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.

દ્વાપર યુગ (હિન્‍દું શાસ્‍ત્ર પ્રમાણે ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્‍યો જેવું વર્તન કરવા લાગ્‍યા આ સમયે પૃથ્‍વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્‍ણે પૃથ્‍વી પર અવતાર લીધો હતો. તેમનો જન્‍મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્‍ણનો જન્‍મ વાસુદેવને ત્‍યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્‍યાં વિત્‍યું હતું. શ્રી કૃષ્‍ણની લીલાથી ગોવાળિયાઓ ધન્‍ય થઈ ગયા હતા. બાળસ્‍વરુપ દરમિયાન જ શ્રી કૃષ્‍ણએ દૈત્‍ય – રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્‍મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્‍ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્‍તિ બાદ શ્રી કૃષ્‍ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્‍થાપિત કર્યા ત્‍યારે સ્‍વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્‍પ વર્ષા કરી શ્રી કૃષ્‍ણને બિરદાવ્‍યા હતા.

મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્‍ણએ ઉદ્વવોને આત્‍મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્‍થળી યોજી હતી. ત્‍યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

કૃષ્‍ણ અવતાર – આમ દ્વારકાધીશ કહેવાયા

શ્રી દ્વારકાધીશ બન્‍યા  

શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.

પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

 ત્રૈલોક્ય સુંદર જગદમંદિરનો સંક્ષિપ્‍ત ઈતિહાસ

 વર્ષ

ઘટનાઓ

ઈ.સ. પૂર્વે ૪૦૦

વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી)

ઈ.સ. પૂર્વે ૧૦૦

હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં લખાયેલા લેખોના આધારે જણાય છે.

ઈ.સ. ૨૦૦

મહાક્ષત્રપ રુદ્રદામાએ દ્વારકાના રાજા વાસુદેવ બીજાને હરાવ્‍યો, દ્વારકાના રાજાના મૃત્‍યુ પછી એની રાણી ધીરાદેવીએ પોતાના ધર્મનાભાઈ પુલુમાવીને પૈઠણથી મદદ કરવા બોલાવ્‍યો ત્‍યારે રુદ્રદામાએ તેની સાથે સંધિ કરી પોતાની પુત્રી તેને પરણાવી અને પોતે વૈષ્‍ણવધર્મ અંગીકાર કર્યો, એ ઐતિહાસિક હકીકત ઉપરથી સમજાય છે કે ત્‍યારે દ્વારકામાં શ્રીકૃષ્‍ણ પૂજા પ્રચલિત હશે અને વજ્રનામે બંધાવેલ છત્રીમાં શ્રી કૃષ્‍ણની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી હશે. (પ્રાચિન ચરિત્રકોષ)

ઈ.સ. ૮૦૦

શ્રીમદ જગદગુરુ આદ્ય શંકરાચાર્યે દ્વારકાધીશ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ચોથે માળે આદ્યશક્તિની સ્‍થાપના કરી.

ઈ. સ. ૮૮૫

શ્રીમદ જગદગુરુ શંકરાચાર્યના એ સમયના પીઠાધીશ શ્રીનૃસિંહાશ્રમે (પાટણમાં બૃહસ્‍પતિસૂરિ સાથે શાસ્‍ત્રાર્થ કરેલો અને જીત્‍યા હતા) મંદિરમાં સમારકામ કરાવ્‍યું (‘વિમર્શ‘ના આધારે)

ઈ.સ. ૯૦૦ થી ૯૫૦

દશમી સદીમાં ત્‍યાં શ્રીકૃષ્‍ણ મંદિર હતું (શ્રી સાંકળિયાના આધારે).

ઈ.સ. ૧૧૨૦

મીનળદેવીએ દ્વારકાની યાત્રા કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો.

ઈ.સ. ૧૧૫૬

ભક્ત બોડાણો મૂર્તિ લઈ ગયો એવો કોલાહલ થતાં દ્વારકાથી સં. ૧૨૧૨માં છ પુરુષો ત્‍યાં તપાસ કરવા ગયા. તેઓમાં મીન કુટુંબના રામજીભાઈના પુત્રો ઓધવજી અને રાઘવજી ગયા હતાં. ઈ. સ. ૧૧૬૨ માં છ વર્ષ પછી ઉદેપુરના રાણા યાત્રાએ આવ્‍યા ત્‍યારે અહીં કઈ મૂર્તિ હતી ભક્ત બોડાણાની હકીકતે જૈન ધર્મના ચમત્‍કાર સામે હિંદુઓ જૈન થતાં અટકી જાય એ માટે ઊભો કરેલો એક બનાવટી ચમત્‍કાર હશે, જેથી આ ગુગળીઓ તપાસ અર્થે ત્‍યાં ગયા.

ઈ.સ. ૧૧૬૨

ઉદેપુરના રાણા ભીમસિંહજીએ કારતક વદ ૧૩ રવિવારે સં.૧૨૧૮માં ગોમતી કાંઠે ગુગળી પૂજારીઓને ૭૦૦૦ વીઘા જમીન અર્પણ કરી (બ્રાહ્મણ કુટુંબના દસ્‍તાવેજના આધારે) ત્‍યારે એણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હશે. એમ અનુમાન થાય છે.

ઈ.સ. ૧૨૪૧

સં. ૧૨૯૭માં અમદાવાદથી મહમદશાહ દ્વારકાધીશનું મંદિર તોડી ગયો ત્‍યારે મંદિર માટે પાંચ બ્રાહ્મણોએ (ઠાકર રાણા કુટુંબ) એમની સામે લડીને જાન આપ્‍યા તેમનાં નામ હતાં, વીરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તથા દેવજી ઠાકર. જેમની સમાધી હાલ મંદિરથી થોડેક દૂર છે. એને પંચપીરના નામે મુસ્લિમોએ ફેરવી નાખી છે.

ઈ.સ. ૧૨૫૦

ગુર્જર કવિ સોમેશ્વરે “ઉલ્‍લાઘરાઘવ” નામનું નાટક શ્રીદ્વારકાધીશના મંદિરમાં ભજવી દ્વારકાધીશને અર્પણ કર્યું

ઈ.સ. ૧૩૪૫

સં. ૧૪૦૧ ની સાલમાં ધ્‍વજા સંબંધી વસુદેવજીની ડેલીએ અબોટીઓ અને મીન કુટુંબ વચ્‍ચે ઝઘડો થતાં ચત્રભોજ નરભેરામ મીનનું મરણ થયું. અબોટી અને ગુગળી વચ્‍ચે મંદિરની પેદાશ વિશે વારંવાર ઝઘડા થતાં હતાં

ઈ.સ. ૧૫૦૪

સં. ૧૫૬૦માં શ્રી વલ્‍લભાચાર્યજીએ લાડવા ગામે રુકમણી માતાએ સેવેલી દ્વારકાધીશની મૂર્તિ મંદિરમાં સ્‍થાપી. મુસ્લિમ આક્રમકોથી બચવા માટે કદાચ એ સમયે મૂર્તિને સાવિત્રીવાવમાં છુપાવી રાખવામાં આવી હશે, એટલે મંદિર મૂર્તિ વિનાનું જોઈ શ્રી વલ્‍લભાચાર્યજીએ આ મૂર્તિ ત્‍યાં સ્‍થાપી. અને ઈ. સ. ૧૫૫૧ સુધી ત્‍યાં બિરાજી, દરમ્‍યાન અજીજ નામના તુર્કે દ્વારકા ઉપર હુમલો કર્યો ત્‍યારે એ મૂર્તિ બેટ લઈ જવામાં આવી ત્‍યારે સાવિત્રીવાવમાંથી મૂર્તિ કાઢીને પધરાવવામાં આવી.

ઈ.સ. ૧૫૪૦

સં. ૧૬૧૬માં શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાશ્રમે ડુંગરપરથી મૂર્તિઓ બનાવડાવી મંદિરના વિસ્‍તારમાં બીજા મંદિરોમાં પધરાવી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો. એ અરસામાં કવિ ઈસર બારોટે ‘હરિરસ’ ગ્રંથ શ્રી દ્વારકાનાથ મંદિરમાં સંભળાવી શ્રી દ્વારકાનાથને અર્પણ કર્યો ( ઈ.સ. ૧૫૪૦)

ઈ.સ. ૧૫૫૭

સં.૧૬૧૩માં શ્રી વિઠ્ઠલનાથજીએ ગુગળી બ્રાહ્મણો અને અબોટી બ્રાહ્મણો વચ્‍ચેની તીર્થ પેદાશની તકરારનું સમાધાન કરી તામ્રપત્ર લખી આપ્‍યું.

ઈ.સ. ૧૭૩૦

સં.૧૭૮૬ની અક્ષયતૃતિયાને દિવસે ગુરુવારે શ્રી પ્રકાશાનંદજીએ શંકરાચાર્યે લાખા ઠાકર પાસે વિષ્‍ણુયોગ યજ્ઞ કરાવ્‍યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. વાઘેર રાજાએ બ્રાહ્મણોનો અડધો કર માફ કર્યો.

ઈ.સ. ૧૮૬૧

મહારાજા ખંડેરાવે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, અંગ્રેજોએ વાઘેરોની લડાઈમાં તોડી પાડેલ શિખર સમુ કરાવ્‍યું.

ઈ.સ. ૧૯૦૩

મહારાજા સયાજીરાવ ગાયકવાડે દ્વારકાના જગદમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્‍યો, શંકરાચાર્ય શ્રીમાધવતીર્થે જીર્ણોદ્ધાર કરાવ્‍યો. (સં. ૧૯૫૮)

ઈ.સ. ૧૯૬૦

ઈ.સ. ૧૯૬૦ થી હાલ સુધી ભારત સરકાર મંદિરનો ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરાવી રહી છે.

ઈ.સ. ૧૯૬૫

પાકિસ્‍તાને સ્‍ટીમર દ્વારા મંદિરનો નાશ કરવા પ્રયત્‍ન કર્યો અને એમાં એ નિષ્‍ફળ ગયા